પાટણ વન વિભાગના વિસ્તરણ રેન્જ સિદ્ધપુર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સિદ્ધપુર તાલુકાના મામવાડા ગામે ‘વન કવચ’ ખાતે વિશેષ વૃક્ષારોપણ અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૨૬ની થીમ “કુદરતથી પ્રેરિત આબોહવા માટે, આપણા ભવિષ્ય માટે” અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મામલતદારશ્રી કે.કે. રણાવાસિયાએ આબોહવા પરિવર્તન સામે લડવા માટે ઊર્જા બચત, વૃક્ષારોપણ અને પર્યાવરણમૈત્રી જીવનશૈલી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી બી.એ. સિંઘવે વન વિભાગની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ‘એક પેડ મા કે નામ ૩.૦’ અભિયાન અંતર્ગત મહાનુભાવો અને ગ્રામજનોના હસ્તે ૫૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું તથા ૧૫૦ જેટલા રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિતોએ ‘વન કવચ’નું નિરીક્ષણ કરી વિવિધ વનસ્પતિઓ વિશે માહિતી મેળવી હતી. કાર્યક્રમમાં સરપંચશ્રી બળદેવસિંહ બારડ, ઉપ સરપંચશ્રી રમેશભાઈ પ્રજાપતિ, તલાટી કમ મંત્રી શ્રીમતી મમતાબેન પટેલ સહિત વન વિભાગના અધિકારીઓ, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર - પ્રવિણભાઈ પંચાલ પાટણ