રાધનપુર શહેરના વડપાસર તળાવ વિસ્તારમાં શુક્રવારે એક જ દિવસમાં બે અલગ-અલગ મૃતદેહ મળતા સ્થાનિકોમાં ચિંતા અને ચર્ચાનો માહોલ સર્જાયો છે. એક મહિલા અને એક યુવતીના મૃતદેહ મળ્યા હોવાની ઘટનાએ શહેરમાં સનસનાટી ફેલાવી દીધી છે. બંને બનાવોની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ ઘટનામાં પદ્મનાથ ચોક મંદિર પાછળ આવેલા વડપાસર તળાવમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિકોએ મૃતદેહ તળાવમાં તરતો જોવા મળતા પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા વિરોધ પક્ષના નેતા જયા ઠાકોર સહિત મોટી સંખ્યામાં લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારબાદ એ જ દિવસે બીજી એક ઘટનામાં યુવતીનો મૃતદેહ મળ્યાની માહિતી સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. તેમજ મૃત્યુના કારણો અંગે તપાસ શરૂ કરી છે. હાલ બંને બનાવ અકસ્માત, આત્મહત્યા કે અન્ય કોઈ કારણસર બન્યા છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. અહેવાલ: વિપુલભાઈ ચૌધરી, રાધનપુર