રાજ્યમાં પ્રથમ વખત દક્ષિણ કોરિયન ટેકનોલોજી આધારિત આધુનિક એર-ફિલ્ડ રબર ડેમ બનાવવામાં આવી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના રાજવાસણા ખાતે હેરણ નદી પર અને તાપી જિલ્લાના પાઠકવાડી ખાતે અંબિકા નદી પર કરોડો રૂપિયાના ખર્ચે આ બે અત્યાધુનિક રબર ડેમનું નિર્માણ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ હજારો હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળશે, ભૂગર્ભ જળસ્તર ઊંચું આવશે અને પૂર તેમજ કાંપની સમસ્યામાં પણ રાહત મળશે. જોઈએ આ અંગેનો વિશેષ અહેવાલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'કેચ ધ રેઈન' અભિયાનને આગળ વધારતા રાજ્ય સરકાર દ્વારા પાણીના સંગ્રહ અને સિંચાઈની સુવિધા મજબૂત બનાવવા બે આધુનિક એર-ફિલ્ડ રબર ડેમનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું છે.છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ગામ પાસે હેરણ નદી પર અંદાજે 82 કરોડ 97 લાખ રૂપિયાના ખર્ચે બનતો રબર ડેમ હાલ 75 ટકા પૂર્ણ થઈ ચૂક્યો છે અને સપ્ટેમ્બર 2027 સુધીમાં તૈયાર કરવાનો લક્ષ્યાંક છે. 180 મીટર લાંબા અને 3.5 મીટર ઊંચા આ ડેમમાં 3.5 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થશે. જેના કારણે 25 ગામોના 3,420 હેક્ટર વિસ્તારને સિંચાઈનો સીધો લાભ મળશે. સાથે જ ભૂગર્ભ જળસ્તર વધશે, પીવાના પાણીની ઉપલબ્ધિ સુધરશે અને હેરણ નદીમાં પૂર તથા કાંપની સમસ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. રબર ડેમની ખાસિયત એ છે કે ભારે વરસાદ અને પૂર દરમિયાન તેમાં ભરેલી હવા બહાર કાઢીને ડેમને નીચે બેસાડી શકાય છે, જેથી પાણીનો પ્રવાહ અવરોધાયા વગર પસાર થઈ શકે અને આસપાસના વિસ્તારોને નુકસાનથી બચાવી શકાય. આ પ્રોજેક્ટમાં આગામી 10 વર્ષ સુધીના ઓપરેશન અને મેન્ટેનન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામે અંબિકા નદી પર અંદાજે 79 કરોડ રૂપિયાના ખર્ચે જાપાનીઝ ડિઝાઇન આધારિત રબર ડેમનું કામ હાલ 90 ટકા પૂર્ણ થઈ ચૂક્યું છે. દક્ષિણ કોરિયાથી મંગાવવામાં આવેલા વિશેષ રબર બ્લેડરથી તૈયાર થતો આ ડેમ 50 ડિગ્રીથી વધુ તાપમાનમાં પણ અસરકારક રીતે કાર્ય કરશે અને તેનું અંદાજિત આયુષ્ય 30 વર્ષ જેટલું રહેશે. આ ડેમમાં SCADA ઓટોમેશન સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે, જેના કારણે કમ્પ્યુટર દ્વારા જ હવા ભરવા અને કાઢવાની સમગ્ર પ્રક્રિયાનું સંચાલન થશે. ડેમમાં આશરે 3.5 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થશે, જેના પરિણામે 650 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળશે અને આસપાસના કૂવા તેમજ બોરના જળસ્તરમાં પણ વધારો થશે.આધુનિક ટેકનોલોજીથી તૈયાર થઈ રહેલા આ બંને રબર ડેમ રાજ્યમાં જળસંચય, સિંચાઈ, પૂર નિયંત્રણ અને ભૂગર્ભ જળ સંવર્ધન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.