ભાવનગર..... ભાવનગર શહેરના રામદેવનગર શેરી નંબર-1 વિસ્તારમાં બપોરના સમયે અચાનક વીજ વાયર તૂટી સીધો એક રહેણાંક મકાનમાં પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાના સમયે ઘરના સભ્યો ઘરમાં આરામ કરી રહ્યા હતા ત્યારે જોરદાર અવાજ સાથે વાયર તૂટી પડતાં પરિવારજનો ગભરાઈ ઉઠ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકો માની રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વાયર પડતાં ઘરમાં ચિંગારીઓ ઉડી હતી, જેના કારણે આસપાસના રહીશો પણ દોડી આવ્યા હતા. અચાનક બનેલી ઘટનાને કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો વાયર કોઈ વ્યક્તિ પર પડ્યો હોત અથવા આગ ફાટી નીકળતી તો ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત. ઘરના સભ્યોએ તાત્કાલિક PGVCL વિભાગને જાણ કરી હોવાનો દાવો કર્યો છે. જોકે, સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ જાણ કર્યા બાદ અંદાજે એક કલાક સુધી કોઈ અધિકારી કે કર્મચારી સ્થળ પર પહોંચ્યો નહોતો. જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો રિપોટર : હિતેન ડાભી ભાવનગર