પાટણ જિલ્લામાં વિકસિત ભારત@૨૦૪૭ના રાષ્ટ્રીય સંકલ્પને જનઆંદોલનનું સ્વરૂપ આપવા જિલ્લા તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ તા. ૦૫ જૂનથી ૨૧ જૂન ૨૦૨૬ દરમિયાન વિવિધ જનકલ્યાણલક્ષી અને જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. તેના સફળ અને અસરકારક અમલીકરણ માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત@૨૦૪૭નો સંકલ્પ માત્ર સરકારી અભિયાન ન રહી લોકોનું જનઆંદોલન બને તે માટે તમામ વિભાગો વચ્ચે સંકલિત પ્રયાસો અનિવાર્ય છે. સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે અને દરેક નાગરિક આ અભિયાનમાં સક્રિય સહભાગી બને તે માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત જિલ્લામાં “એક પેડ માં કે નામ” વૃક્ષારોપણ અને જતન અભિયાન, સ્વચ્છતા અભિયાન, પ્રગતિ પથ યાત્રા, પ્રતિષ્ઠિત વ્યક્તિ સંપર્ક અભિયાન, વિકસિત ભારત સંકલ્પ સંમેલન, સરકારની સિદ્ધિઓની પ્રદર્શની, જનકલ્યાણ શિબિરો, પ્રાકૃતિક ખેતી કાર્યશાળાઓ તેમજ વિશ્વ યોગ દિવસની ઉજવણી જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે. જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ વિભાગોને આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરવા, ગામડાં અને શહેરોમાં વ્યાપક પ્રચાર-પ્રસાર કરવા તેમજ સરકારની યોજનાઓના લાભાર્થીઓ સુધી સીધો સંપર્ક સાધવા સૂચના આપી હતી. સાથે જ કાર્યક્રમોના ગુણવત્તાસભર અને પરિણામલક્ષી અમલીકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમોના અસરકારક અમલીકરણ માટે જિલ્લા કક્ષાએ વિવિધ નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. નોડલ અધિકારીઓને કામગીરીની નિયમિત સમીક્ષા, મોનિટરિંગ અને સમયસર અહેવાલ રજૂ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.એલ. પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી હિરેન ચૌહાણ, જિલ્લા પોલીસ વડાશ્રી વી.કે. નાયી સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.