પાટણ જિલ્લામાં "ખેત બચાવો અભિયાન" અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક અને ટકાઉ ખેતી અંગે માર્ગદર્શન હારીજ તાલુકામાં ખેડૂત તાલીમ અને જાગૃતિ કાર્યક્રમો યોજાયા, વિવિધ સરકારી યોજનાઓ અંગે અપાઈ માહિતી રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં તા. 1 જૂનથી 30 જૂન, 2026 દરમિયાન "ખેત બચાવો અભિયાન"નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે પાટણ જિલ્લાના હારીજ તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતો માટે જાગૃતિ, તાલીમ અને માર્ગદર્શન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. હારીજ તાલુકાના જશવંતપૂરા, રુગનાથપૂરા, ખાખલ, સોઢવ, તંબોળીયા, થરોડ, ખાખડી, સરવાળ, કુંભાણા, કાઠી અને કાતરા સહિતના ગામોમાં કૃષિ યુનિવર્સિટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), ખેતીવાડી વિભાગ, આત્મા પ્રોજેક્ટ અને અન્ય લાઇન વિભાગોના સહયોગથી ખેડૂત તાલીમ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કૃષિ ક્ષેત્રના નિષ્ણાતો, અધિકારીઓ અને વૈજ્ઞાનિકોએ ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમ દરમિયાન દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સંચાલિત બટાકા સંશોધન કેન્દ્ર, ડીસાના ખેતી અધિકારી શ્રી ડી. એમ. ઝાપડિયા, હારીજ તાલુકાના વિસ્તરણ અધિકારી શ્રી જે. જે. સોલંકી, આત્મા પ્રોજેક્ટના બ્લોક ટેક્નોલોજી મેનેજર શ્રી એસ. આર. પરમાર તેમજ ગ્રામ સેવક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે આબોહવા પરિવર્તનના પડકારો સામે કૃષિને વધુ સક્ષમ બનાવવા માટે સંકલિત ખેતી પદ્ધતિઓ, જમીનની તંદુરસ્તી જાળવવાના ઉપાયો અને પર્યાવરણમૈત્રી ખેતી તરફ પ્રેરિત કરવામાં આવ્યા હતા. વિશેષરૂપે રાસાયણિક ખાતરોના સંતુલિત ઉપયોગ, જીવામૃત, ઘન જીવામૃત, બાયોફર્ટિલાઈઝર, નેનો ફર્ટિલાઈઝર અને ગ્રીન મેન્યુરિંગ જેવા વિકલ્પો અપનાવી જમીનની ફળદ્રુપતા જાળવવા અને ઉત્પાદન ખર્ચ ઘટાડવા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયત કક્ષાએ "ખેત બચાવો સમિતિ" મારફતે નિગરાની સમિતિઓની બેઠકો યોજી અભિયાનની અસરકારક અમલવારી માટે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના, ફાર્મર રજિસ્ટ્રી, સોઈલ હેલ્થ કાર્ડ અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના અંગે પણ માહિતી આપવામાં આવી હતી. સરકારી યોજનાઓનો વધુમાં વધુ ખેડૂતોને લાભ મળી રહે તે માટે બેંકો અને સંબંધિત વિભાગો સાથે સંકલન કરી કામગીરી કરવામાં આવી રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. "ખેત બચાવો અભિયાન" અંતર્ગત આયોજિત આ કાર્યક્રમોને ખેડૂતો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો. કાર્યક્રમોના માધ્યમથી ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી, કુદરતી સંસાધનોના સંરક્ષણ અને ટકાઉ કૃષિ વિકાસ અંગે ઉપયોગી માર્ગદર્શન મળ્યું હતું, જે કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે