ભારતના મધ્ય પ્રદેશ અને ગુજરાતની સરહદે આવેલ અલીરાજપુર જિલ્લામાં "નૂરજહાં" નામની કેરી થાય છે, જે વિશ્વની સૌથી મોટી કેરીઓમાંની એક છે. એક કેરીનું વજન ૨.૫ થી ૩.૫ કિલો સુધીનું હોઈ શકે છે અને તેની લંબાઈ લગભગ એક ફૂટ જેટલી હોય છે. આ કેરીની કિંમત એક નંગના ₹૫૦૦ થી ₹૧૦૦૦ સુધીની હોય છે. તેનો સ્વાદ અને સુગંધ અન્ય કેરીઓ કરતા સાવ અલગ અને કેસર જેવી હોય છે. આ કેરીના ઝાડ હવે ખૂબ ઓછી સંખ્યામાં બચ્યા છે, તેથી તેને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. તેના ફળ આવતા પહેલા જ તેનું એડવાન્સ બુકિંગ થઈ જતું હોય છે. ખેતીવાડી નિષ્ણાતો આ જાતને બચાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે.